તારાપુર, બુધવાર
હોળી-ધુળેટીના પવિત્ર તહેવાર નિમિતે તારાપુરમાં માનવતા અને સેવા ભાવનાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું. શહેરની જાણીતી સંસ્થા રઘુવીર ટ્રાન્સપોર્ટ દ્વારા ફૂટપાથ પર નિવાસ કરતા તેમજ જરૂરિયાતમંદ પરિવારો વચ્ચે ખજૂર અને ધાણીનું વિતરણ કરી તહેવારની ઉજવણી કરવામાં આવી.

રંગોના આ પર્વે માત્ર ઔપચારિક ઉજવણી પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ સમાજના વંચિત વર્ગ સુધી ખુશીઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સંસ્થાના પ્રતિનિધિઓ અને કાર્યકરોએ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ પરિવારોને ખજૂર અને ધાણી અર્પણ કરી હોળીની શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તહેવારોનો સાચો આનંદ ત્યારે મળે છે જ્યારે સમાજના દરેક વર્ગ સુધી ખુશી પહોંચે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે તહેવારની ખુશી વહેંચવી એ જ સાચી ઉજવણી છે.

રઘુવીર ટ્રાન્સપોર્ટની આ પહેલને સ્થાનિક નાગરિકોએ બિરદાવી હતી અને આવા સામાજિક કાર્યો આગળ પણ સતત ચાલતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
હોળીના પવિત્ર અવસરે કરાયેલ આ સેવાકાર્ય સમાજમાં એકતા, સહકાર અને માનવતાનો સંદેશ ફેલાવતો ઉદાહરણ બની રહ્યો છે.
આરીફ શેખ:બ્યુરો

